Sunday, December 18, 2016

રાજકોટના ડો. રમેશચંદ્ર ભાયાણી શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે દરેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે-inf by Ashok HindochaM-9426254999

રાજકોટના ડો. રમેશચંદ્ર ભાયાણી શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે દરેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે
Inline image

::: લેખન - સંકલન  :::
અતુલ એન. ચોટાઈ
(પત્રકાર અને લેખક)
રાજકોટ - ગુજરાત

જન્મ પછી એવી બીમારી લાગુ પડી કે જોનાર પણ ઇશ્વરની કૃપા હશે તો બચી જશે તેમ કહેતા. માતા - પિતાએ સાર સંભાળ લઇને ઉછેર કર્યો. ઘરમાં પૂજા પાઠમાં જોડાઇ જતા પુત્રનું અભ્યાસમાં મન લાગતું ન હતું. ઘરે સાધુ સંતોને બોલાવી સત્સંગ થતો પણ પુત્રથી ચિંતિત માતાએ એક દિવસ ઘરે આવેલા સાધુને પૂછ્યુું કે મહારાજ યે લડકા પઢેગા યા નહીં..?? સાધુએ બાળકની હથેળી ઊંધી ચતી કરીને ઊંડો શ્વાસ લેતા કહ્યું કે માતાજી યે લડકા દસમી ચોપડી તક ભી નહીં પહોંચેગા..!! સાધુના આ શબ્દો સાંભળ્યા પછી એ બાળકે અભ્યાસમાં એકાગ્રતા કેળવીને એસ.એસ.સી, બી.એસ.સી, ડબલ એમ.એસ.સી (પ્રથમવર્ગ લાયકાત સાથે), રસાયણ શાસ્ત્રમાં પી.એચ.ડી, ડી.એસ.ઇ., ડીઇ.આર.આઇ. અને ત્યારબાદ વિજ્ઞાન, શિક્ષણક્ષેત્રે અધ્યયન, લેખન અને સંશોધનો કરીને શૈક્ષણિક જગતમાં પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.

જેમનું નામ છે ડો. રમેશચંદ્ર જમનાદાસ ભાયાણી. મૂળ દ્વારકાના લોહાણા પરીવારમાં જન્મેલા રમેશભાઈ ના પિતા બેરિસ્ટર હતા. પ્રાથમિક શિક્ષણ દ્વારકામાં લીધું રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં વિજ્ઞાન વિભાગમાં પ્રવેશ મેળવ્યો તથા પરિવાર ઉપર બોજ ન આવે એ માટે સ્કોલરશિપ સાથે એમ.એસ.સી કર્યું. કાર્બનિક રસાયણ શાસ્ત્રનો અભ્યાસ કરવા જામનગર ગયા રાતે નોકરી દિવસે અભ્યાસ કર્યો અને રાજકોટ કોટક ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં ફેેલો તરીકે નિમણૂક મેળવી જો કે પોતાની અભ્યાસયાત્રા ચાલુ જ રાખી જેમની વિશેષ સિદ્ધીઓમાં જોઈએ તો તેમણે ૩૪ જેટલા પુસ્તક લખ્યા છે અને  સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના એવોર્ડ સહિત ઘર ભરાય એટલા એવોર્ડ મળ્યા છે. છેલ્લે પ્રોફેસર તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા છે. ઉપરાંત રસોડા પ્રયોગપોથી, થેલેસિમિયા અંગે વિશેષ જાણકારી વિજ્ઞાન જાગૃતિ નામથી માસિક દીવાલ પત્ર સહિત ૫ સંપાદન અને ૪  પાઠ્ય પુસ્તક પણ લખેલા છે. તેમના ૭ થી વધુ સંશોધન પત્ર પ્રસિધ્ધ થયા છે તેઓએ દૈનિકપત્રો, સામાયિકોમાં સાયન્સની કોલમ લખી છે. ભાયાણી સાહેબની આ મહેનત બદલ ૨૦0૧ માં રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામના હસ્તે સન્માન પણ થયેલ છે  હાલમાં ૭૫ વર્ષની ઉંમરે પણ તેઓ રાજકોટના લોકવિજ્ઞાન કેન્દ્રમાં માનદસેવા આપી નિ:શુલ્ક શિક્ષણ સેવાયજ્ઞ ચલાવે છે. 

ગુજરાતમાં થેલેસેમિયા સામે જાગૃતિ લાવવા ૧૯૮૩ થી શરૂ કરેલી ઝુંબેશ આજે પણ ચાલુ છે. નિવૃત્ત થયા બાદ ૨૦૦૫ થી રાજકોટ લોક વિજ્ઞાનકેન્દ્રમાં નિયામક તરીકે નિમણૂક થતા આજે પણ ત્યાં માનદ સેવા આપી રહ્યા છે. પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા બાદ મનુષ્યદેહ સાર્થક કરવા અને સમાજ માટે યથાશક્તિ કાર્ય કરવાના ઉદ્દેશ સાથે આજે ૭૫ વર્ષની ઉંમરે પણ સાયન્સના સ્ટુડન્ટ અને જીજ્ઞાસુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપી રહ્યા છે. ડો. રમેશચંદ્ર ભાયાણી નિયામકશ્રી, પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, નહેરુ ઉદ્યાન, રેસકોર્સ ની અંદર, રાજકોટ - ૩૬૦ ૦૦૧ ફોન : ૦૨૮૧ - ૨૪૪૯૯૪૦ (સમય સવારે ૧૧ થી ૧) ઉપર તેમનો સંપર્ક કરી શકાય છે.

No comments: