Tuesday, June 21, 2016

યોગ દ્વારા સૌંદર્ય નિખારો - શહનાઝ હુસૈન inf. by Ashok Hindocha M-94262 54999

યોગ દ્વારા સૌંદર્ય નિખારો
- શહનાઝ હુસૈન inf. by Ashok Hindocha M-94262 54999 સૌંદર્ય શરીર અને મન બંનેના સ્વાસ્થ્યનો અરીસો છે. મારું માનવું છે કે સારું સ્વાસ્થ્ય તેમજ બાહ્ય સુંદરતા એક જ સિક્કાની બે બાજુઓ છે. જો તમે દરેક રીતે સ્વસ્થ નથી, તો તમારી સુંદરતામાં નિખાર ક્યારેય નહીં આવી શકે. આકર્ષક ત્વચા, કાળા ચમકતા વાળ અને નમણી કાયા માત્ર સ્વસ્થ રહેવાથી જ મેળવી શકાય છે. મેં તમામ સ્વાસ્થ્ય, આયુર્વેદિક સિદ્ધાંતોને યોગના માધ્યમ દ્વારા જ પ્રોત્સાહન આપ્યું છે. સૌંદર્ય વિશેના આ અનોખા દ્રષ્ટિકોણને વિશ્વભરમાં પ્રશંસા મળી છે. મારા મતે, હાલની આધુનિક જીવનશૈલીમાં સમગ્ર સ્વાસ્થ્ય તેમજ સૌંદર્ય હાંસલ કરવા માટે યોગ અત્યંત સમયોનુચિત છે. હકીકતમાં યોગ મારા વ્યક્તિગત જીવનનું અભિન્ન અંગ છે અને મને એનાથી અનેક લાભ થયા છે. સુંદર ત્વચા અને ચમકતા વાળો માટે પ્રાણાયામ સૌથી મહત્ત્વપૂર્ણ છે. તેનાથી તણાવ ઓછો થાય છે અને લોહીમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે. જેનાથી લોહીનું ભ્રમણ વધુ સારી રીતે થઈ શકે છે. ઉત્તાનાસન, ઉત્કટાસન, શીર્ષાસન, હલાસન તેમજ સૂર્યનમસ્કાર આંતરિક તેમજ બાહ્ય સૌંદર્ય નિખારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. યોગાસન કરવાથી વ્યક્તિ શારીરિક તેમજ માનસિક બંને રીતે સ્વાસ્થ્યના લાભ મેળવે છે. યોગથી માત્ર માંસપેશીઓ જ સુદ્રઢ નથી બનતી, પરંતુ શરીરમાં પ્રાણશક્તિ વધે છે અને આંતરિક અંગો સુદ્રઢ બને છે તેમજ નાડી તંત્ર સંતુલિત બને છે. યોગ દ્વારા માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે અને માનસિક એકાગ્રતા મેળવી શકાય છે. યોગ પ્રાચીનકાળની ભારતીય વિદ્યા છે તેમજ સંતુલિત વ્યક્તિત્વ હાંસલ કરવા તેમજ વૃદ્ધાવસ્થા અટકાવવા માટે યોગ, અસરકારક ઉપાય હોવાનું મનાય છે. યોગ દ્વારા શ્વાસ પર નિયંત્રણ મેળવી શકાય છે તેમજ યોગક્રિયા દરમિયાન શ્વાસને છોડવા તેમજ શ્વાસને ખેંચવાની ગહન વૈજ્ઞાનિક પ્રક્રિયા કરવાની હોય છે, જેનાથી શરીરને પ્રાણ વાયુ મળે છે. તેનાથી શારીરિક તેમજ માનસિક આનંદની અનુભૂતિ થાય છે. સૌંદર્ય માટે આ અત્યંત આવશ્યક છે, કારણ કે આનંદનો અનુભવ જ શારીરિક સૌંદર્યનો અનિવાર્ય હિસ્સો છે. યોગથી લોહીનું ભ્રમણ વધુ સારું બને છે, જેના કારણે ત્વચાની બાહ્ય સપાટી પર લોહીનું ભ્રમણ વધે છે અને તે ત્વચાની સુંદરતા માટે ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે તેનાથી ત્વચાને પર્યાપ્ત પોષણ મળે છે. તેનાથી ત્વચામાં રહેલા ઝેરી તત્વો બહાર કાઢવામાં પણ મદદ મળે છે. તેનાથી ત્વચા ટોન થાય છે, ઓક્સિજનનો યોગ્ય પ્રસાર થાય છે, સુંદર આભા નિખરે છે, તેમજ ત્વચામાં તાજગી અને યુવાની જળવાયેલાં રહે છે અને ત્વચા રોગમુક્ત રહે છે. આ જ પ્રક્રિયા વાળ માટે પણ લાગુ પડે છે. જ્યાં સુધી બાહ્ય રૂપનો સવાલ છે, ત્યાં સુધી નમણી કાયા દ્વારા તમે ઘણા યુવાન દેખાઈ શકો છો તેમજ લાંબા સમય સુધી યૌવન જાળવી શકો છો. યોગ દ્વારા શરીરના પ્રત્યેક ટિશ્યુને ઓક્સિજન મળી રહે છે, જેનાથી સ્વાસ્થ્ય અને સુંદરતાનો માર્ગ આપોઆપ મોકળો બને છે. એ વાત જાણી લેવી જરૂરી છે કે જો તમારા જીવનમાં શારીરિક સક્રિયતાનો અભાવ છે, તો તમે વૃદ્ધાવસ્થાને આમંત્રણ આપી રહ્યા છો. યોગના વિવિધ આસનો દ્વારા કરોડરજ્જુ તેમજ સાંધાની લવચીકતા તેમજ કોમળતા લાવી શકાય છે. તેનાથી શરીર સુદ્રઢ અને સ્ફૂર્તિલું બને છે,માંસપેશીઓ સુદ્રઢ બને છે, લોહીનું ભ્રમણ વધુ સારું બને છે, શરીરમાં ઉત્સાહ અને પ્રાણશક્તિનો સંચાર થાય છે અને બાહ્ય સૌંદર્ય નિખરે છે તેમજ સ્વાસ્થ્ય વધુ સારું બને છે. સૌંદર્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ તણાવને કારણે સર્જાય છે. યોગ દ્વારા તણાવ ઘટે છે તેમજ શરીર શાંતિમય સ્થિતિમાં પહોંચે છે, જેનાથી તણાવને કારણે થતી બીમારીઓ, જેવી કે વાળ ઉતરવા, ખીલ થવા, ટાલ પડવી તેમજ વાળમાં ખોડાની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મળી જાય છે. યોગાસનને પોતાની રોજિંદી દિનચર્યામાં સામેલ કરનારા યોગસાધકો પર કરાયેલા એક અભ્યાસમાં એવું તારણ મળ્યું કે યોગસાધકોના વ્યક્તિત્વ, વ્યવહાર, ભાવનાત્મક સ્થિરતા, આત્મવિશ્વાસમાં સકારાત્મક ફેરફાર જોવા મળ્યો છે. મસ્તિષ્ક, ભાવનાઓ તેમજ મૂડ પર યોગની સીધી અસર પડે છે. હકીકતમાં યોગ નિયમિત રીતે તણાવ ઘટાડે છે અને તમારી ત્વચામાં કાંતિ લાવે છે. યોગ દ્વારા તમે તાજગીભર્યા યૌવન અને સુધરેલા મૂડનો તાત્કાલિક અનુભવ કરી શકો છો.(લેખિકા પદ્મશ્રીથી સન્માનિત, ખ્યાતનામ સૌંદર્ય વિશેષજ્ઞ છે - લેખમાં તેમના પોતાના વિચારો રજૂ કરાયેલા છે) માહિતી : પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો ભારત સરકાર - અમદાવાદ www.ashokhindocha.blogspot.com M-94262 54999

No comments: